ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવા વર્ષે ૪૯૭ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું
માંડલ-બેચરાજી-વિરમગામ વિસ્તાર આજે SIR અને ઓટો હબ તરીકે ઉભરી આવ્યો છે
January 1, 2026
Gujarat
અમદાવાદ,તા.૧, નવા વર્ષના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ૪૯૭ કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરી રાજ્યની પ્રગતિને નવી ગતિ આપી છે. આ પ્રોજેક્ટ્સમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલ્વે ઓવરબ્રિજ અને કનેક્ટિવિટીના મહત્વના કાર્યોનો સમાવેશ થાય છે. જનમેદનીને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને કારણે ક્યારેક પછાત ગણાતો માંડલ-બેચરાજી-વિરમગામ વિસ્તાર આજે SIR અને ઓટો હબ તરીકે ઉભરી આવ્યો છે. તેમણે બિહારના ચૂંટણી પરિણામોનો ઉલ્લેખ કરી ઉમેર્યું કે હવે સમગ્ર દેશ વિકાસની રાજનીતિને સ્વીકારી રહ્યો છે. ડબલ એન્જિન સરકારની કાર્યક્ષમતાને કારણે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.આ પ્રસંગે મુખ્યમંત્રીએ ખાસ નોંધ્યું કે,છેલ્લા ૩ વર્ષમાં માંડલ-બેચરાજી SIR માટે ૪૮૮ કરોડના કામો પૂર્ણ થયા છે. કોકતા ફાટક પર રેલવે ઓવરબ્રિજ બનવાથી ૧ લાખ નાગરિકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે અને ઈંધણ-સમયની બચત થશે. ભારતમાં હાઈવે નિર્માણની ગતિ ૧૨ કિમીથી વધીને ૩૪ કિમી પ્રતિ દિવસ થઈ છે. ગુજરાત સરકારે નમો શક્તિ એક્સપ્રેસ-વે અને હાઈસ્પીડ કોરિડોર માટે ૧૦,૦૦૦ કરોડની ફાળવણી કરી છે.જ્યારે ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીનો આભાર માનતા કહ્યું કે છેલ્લા ૩ વર્ષમાં વિરમગામને ૨૫૦૦ કરોડથી વધુ ના વિકાસકામો મળ્યા છે, જેનો લાભ શંખેશ્વર અને બેચરાજીના શ્રદ્ધાળુઓને પણ મળશે. કાર્યક્રમ દરમિયાન સુપોષિત ગુજરાત અભિયાન અંતર્ગત આંગણવાડી કાર્યકરોને મિલેટ બાસ્કેટ એનાયત કરવામાં આવી હતી. અંતમાં, મુખ્યમંત્રીએ ઔદ્યોગિક વિકાસની સાથે સ્વચ્છતાને જીવનશૈલી બનાવવાની નાગરિકોને અપીલ કરી હતી.
Sponsored
Mobile Ad